કેવડીયા બચાવ આંદોલન સમિતિ મેદાનમાં, PM મોદીજીને કેવડીયા માં એન્ટ્રી પહેલા જ નર્મદા જિલ્લાના કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું,
રાજપીપલા: આજ રોજ રાજપીપલા જિલ્લા કલેકટર કચેરી ખાતે ‘કેવડિયા બચાવો આંદોલન સમિતિ’ ના આદિવાસી આગેવાન ડો પ્રફુલ વસાવા, આશિષ તડવી, શૈલેષ તડવી, શકુંતલા બેન તડવી, વિજય તડવી , નરેન્દ્ર તડવી અન્યો આગેવાનોની હાજરી માં કલેકટર શ્રીને આવેદન પત્ર આપવામાં આપવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગામી 31મી ઓક્ટોબર 2020નાં રોજ 2 વર્ષ પૂર્ણ થાય છે. એ દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વખતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. અને PM મોદીના કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે ‘કેવડિયા બચાવો આંદોલન સમિતિ’એ PM મોદીના કાર્યક્રમનો વિરોધ નોંધાવી 30 અને 31મી ઓક્ટોબર , 2 દિવસ કેવડિયા બંધનું એલાન જાહેર કર્યું છે.
ત્યારે નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર અને વડોદરા ગ્રામ્ય વિસ્તારની પોલિસનો કાફલો PM મોદીની સુરક્ષા માટે ખડકી દેવાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે કેવડિયા ટેન્ટ સીટી ખાતે PM મોદી કાર્યક્રમને લઈને 3 દિવસ રોકાયા હતાં ત્યારે પણ આદિવાસીઓએ કેવડિયા બંધનું એલાન આપ્યું હતું જે સફળ નીવડ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળમાં આવતા 14 ગામના આદિવાસી આગેવાનોએ ‘કેવડિયા બચાવો આંદોલન સમિતિ’ના નેજા હેઠળ આદિવાસી આગેવાનશ્રી ડૉ. પ્રફુલ્લ વસાવા, શ્રી.શૈલેષ તડવી સહિત અન્ય આગેવાનોએ દેશનાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતનાં રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા નર્મદા જિલ્લા કલેકટર સમક્ષ પોતાની માંગો મૂકી છે. જો 7 દિવસમાં એનું નિરાકરણ નહીં આવે તો 2 દિવસ કેવડિયા બંધનું એલાન આપ્યું છે. આ સાથે જ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ કેવડીયા બચાવો આંદોલન સમિતિ એ આપી છે.
શું છે આદિવાસી સમાજની માંગણીઓ?
(1) સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળને તત્કાળ હટાવી 14 આદિવાસી ગામ પંચાયતોના અધિકારો પરત કરો. ભારતીય સંવિધાનની 5 મી અનુસુચિ અને પેસા કાનુન મુજબ અહીં ગ્રામસભાના સ્વતંત્ર નિર્ણય લેવાના અમારાં મૌલિક અધિકારનો ઉપયોગ જરૂર થશે જ. અમારા આ વિસ્તારમા ભારતીય બંધારણ અને આદિવાસી રુઢિ પરંપરાઓ મુજબ જે ઠરાવ થશે તે પ્રમાણેનો જ અમે કાર્ય કરવા બંધાયેલા છીએ.
(2) કોરોના લોકડાઉનની આડમાં તાર ફેન્સીંગ કરી જે ખેડૂતોની જમીનો પર સરકારે બિન કાયદેસર કબજો કર્યોં છે તે તમામ જમીનો પરના દબાણ હટાવી આદિવાસીઓના જીવનના સહારારુપ જમીનો પરત આપવામાં આવે.
(3) વિયરડેમમાં બિન જરૂરી રીતે પાણી ભરવાથી જે ખેડુતો અને આદિવાસીઓને નુકસાન થયેલ છે તેમને ઉભા પાક નુકસાન જેટલું અનાજ આપવામાં આવે અને જે જમીનોનું ધોવાણ થયું છે તેમાં તત્કાળ માટી પુરી આપવામાં આવે. જે ઘરોને નુકશાન થયું છે તે તમામ ઘરો તત્કાળ જે તે સ્થિતિ ના બનાવી આપવામાં આવે.
(4) અમારાં માટે અમારાં ગામડાઓ જ આદર્શ ગામ છે હાલમાં અમારાં ઘરો જે સ્થિતિમાં છે તેનાંથી અમે ખુશ છીએ. અમને હાલ ગોરા ગામ ખાતે જે નકલી આદર્શ ગામ બનાવી આપવા પ્લાન ચાલે છે જે અમોને કદાપિ મંજુર નથી.(5) 31 ઓકટોબરે જે વડાપ્રધાનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ રદ્દ કરવામાં આવે. કોરોના મહામારી વચ્ચે આ વિસ્તારમાં CRPFનાં 130 જવાનોમાંથી 45 પોઝિટિવ કેસ આવ્યાં હતાં, બહાર નોકરીએ જતાં અહીંના SRP જવાનો કોરોના પોઝિટિવ થઈને પાછા અમારાં વિસ્તારમાં આવે છે. હમણાં 31 ઓકટોબરના કાર્યક્રમને લીધે જે અન્ય જિલ્લાઓ કે રાજ્યો માંથી પોલિસ ફોર્સ અને અન્ય ફોર્સ આવી રહી છે જેથી અમારાં વિસ્તારમાં કોરોના વધુ ફેલાઈ જવાનો ડર છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરનો કાર્યક્રમ રદ્દ નહીં કરવામાં આવે તો આ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી જશે જે આદિવાસીઓ માટે ખતરારૂપ છે.
(6) 14 ગામોની જમીનો પડાવવા હાલ જે નીતિનો ઉપયોગ થઈ રહયો છે જેનાથી અમેં સહમત નથી. ગુજરાત સરકાર-નર્મદા જિલ્લા પોલીસ અને સરકારી પ્રશાસન ભારતીય બંધારણની ઉપરવટ જઈ અમોને ડરાવી ધમકાવી, બળ પુર્વક અમારી જમીનો પડાવી , અમારાં અને અમારાં અધિકારોની વાત કરનારા સમાજસેવકો પર ખોટા કેસો કરી અમોને હેરાન પરેશાન કરવાની આવી તમામ બિન કાયદેસરની પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે.
જેવી અનેક માંગણીઓ માંગણીઓ સરકાર સમક્ષ રજુ કરી છે, અને જો આ માંગણીઓ સંતોષવામાં ન આવે તો ગાંઘીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવી ચીમકી કેવડીયા બચાવો આંદોલન સમિતિ એ આપી છે.
બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા,